૧) જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.
૨) અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
૩) અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.
૪) અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે.
૫) અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.
૬) અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.
૭) અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે.
૮) અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.
૯) કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી ?
૧૦) અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.
૧૧) અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.
૧૨) અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.
૧૩) અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.
૧૪) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે.
૧૫) હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા,
૧૬) ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની,
૧૭) અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે.
૧૮) અને સવારની જ્યારે ચમકવા લાગે.
૧૯) નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે.
૨૦) જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે.
૨૧) જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.
૨૨) અને તમારા સાથી પાગલ નથી.
૨૩) તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.
૨૪) અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી.
૨૫) અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી.
૨૬) પછી તમે ક્યાં જઇ રહ્યા છો.
૨૭) આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે.
૨૮) (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે.
૨૯) અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો.